Latest Posts

લેબલ GUJARAT સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ GUJARAT સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ભૂપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ ભારતીય રાજકારણી અને ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી છે. તે ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના સભ્ય છે. એમને પક્ષ તરફથી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે જાહેર કરાયા હતા. 

ભૂપેન્દ્ર પટેલનો જન્મ ૧૫ જુલાઈ, ૧૯૬૨ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં કડવા પાટીદાર પરિવારમાં થયો હતો.તેમણે એપ્રિલ ૧૯૮૨માં અમદાવાદની સરકારી પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની પદવી મેળવેલ છે તેઓ કિશોરાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે.

તેઓ સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે. તેઓ વ્યવસાયે બિલ્ડર છે.ગુજરાત વિધાનસભાની સત્તાવાર વેબસાઇટ અનુસાર તેઓ ક્રિકેટ અને બેડમિન્ટનમાં રુચિ ધરાવે છે. તેઓ દાદા ભગવાન દ્વારા સ્થાપિત અક્રમ વિજ્ઞાન ચળવળના અનુયાયી છે.


તેઓ ૧૯૯૫-૯૬, ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૪-૦૬માં મેમનગર નગરપાલિકાના સભ્ય રહ્યા હતા. ૧૯૯૯-૨૦માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા. તેઓ ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પદે રહ્યા હતા. ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી તેઓ થલતેજ વોર્ડના કાઉન્સિલર પદે રહ્યા હતા. તેઓ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના ચેરમેન પદે રહ્યા હતા. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા.


ભૂપેન્દ્રભાઈએ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે વિજય મેળવ્યા બાદ ઘાટલોડિયા મતવિસ્તાર માટે ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા. તેઓ ૧,૧૭,૦૦૦ મતોની વિક્રમજનક સરસાઈથી જીત્યા હતા.
 

૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. કેન્દ્રીય નિરીક્ષકો નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેની પાર્ટી વિધાનસભા બેઠકમાં ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ પટેલને સર્વાનુમતે ભાજપના વિધાનસભા નેતા અને મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.